ભારતના ચૂંટણી પંચ દ્વારા ગઈ કાલે લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જતા આજે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા દાહોદ જિલ્લા સેવા સદનના સરદાર સભાખંડમાં એક પ્રેસમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર, ડેપ્યુટી કલેકટર એમ.જે દવે, નાયબ માહિતી નિયામક નલિન બામણિયા અને નાયબ ચૂંટણી અધિકારી તથા ઇલક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના રિપોર્ટર ઉપસ્થિત રહયા હતા.
પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા ચુંટણી અધિકારી વિજય ખરાડીએ ૧૯ – દાહોદ (અ.જ.જા.) સંસદીય મત વિભાગની ચુંટણીની વિગતો આપતાં જણાવ્યુ હતુ કે ત્રીજા તબક્કામાં ૧૯ – દાહોદ (અ.જ.જા.) સંસદીય મત વિભાગની ચુંટણીનું મતદાન તા.૨૩.૦૪.૨૦૧૯ ના રોજ યોજાશે. તા.૨૮.૦૩.૨૦૧૯ થી તા.૦૪.૦૪.૨૦૧૯ દરમિયાન ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ભરી શકશે. ભરેલા ઉમેદવારી પત્રો ચુંટણી અધિકારી ૧૯ – દાહોદ (અ.જ.જા) સંસદીય મત વિભાગ અને કલેક્ટર, દાહોદને સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ભરી શકાશે. તા.૨૩.૦૫.૨૦૧૯ ના રોજ મતગણતરી યોજાશે. તા.૨૭.૦૫.૨૦૧૯ ના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. ૧૯ – દાહોદ (અ.જ.જા) સંસદીય મત વિભાગમાં ૭ (સાત) વિધાનસભા ઓનો સમાવેશ થશે. જેમાં ૧૨૩ – સંતરામપુર (અ.જ.જા), ૧૨૯ – ફતેપુરા (અ.જ.જા), ૧૩૦ – ઝાલોદ (અ.જ.જા), ૧૩૧ – લીમખેડા (અ.જ.જા), ૧૩૨ – દાહોદ (અ.જ.જા), ૧૩૩ – ગરબાડા (અ.જ.જા) અને ૧૩૪ – દેવગઢ બારીયાનો સમાવેશ થાય છે. આ સાતે વિધાનસભાઓમાં કુલ ૧૫,૬૬,૨૬૫ મતદારો નોંધાયેલા છે. જેમાં ૧૮ થી ૧૯ વર્ષના ૨૨,૪૮૬ મતદારો નોંધાયા છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે. શહેરી ૧૯૭ અને ગ્રામ્ય ૧૮૦૭ એમ કુલ ૨૦૦૪ મતદાન મથકો પરથી મતદાન કામગીરી હાથ ધરાશે તથા સુવિધા માટે ૧૯૫૦ એક ટોલ ફ્રી નંબર ફરિયાદ અને માહિતી માટે આપેલ છે.
cVIGIL Application ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને કોઈપણ વ્યક્તિ પોતાનું નામ જાહેર કર્યા વગર ફરિયાદ કરી શકે છે. નાગરિક પોતાના મતવિસ્તારના લાઇવ ફોટા કે વિડિઓ પણ અપલોડ કરી શકશે. અને ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે ફ્લાઈંગ સ્કોડ, સ્ટેટિક સર્વિલેન્સ ટીમ, વિડિઓ સર્વિલેન્સ ટીમ, વીડિયો વ્યુઇંગ અને વિડિઓ મોનીટરીંગ ટીમનો ઉપયો કરવામાં આવશે. ઉમેદવારોના હિસાબો ત્રણ વાર ચકાસવામાં આવશે અને પછી ઈલેક્શન કમિશનરની વેબસાઇટ પર મુકાશે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને નિયમોના ભંગ કરનાર અને વાતાવરણને ડહોળવાની કોશિશ કરનાર ઉપર હાર્ડ એક્શન લેવામાં આવશે.
