પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રત્યેક ગામના ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહ્વાનને સાર્થક કરવા જિલ્લામાં વ્યાપક અભિયાન.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લખણપુર ગામમાં ૧૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ દ્વારા આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રત્યેક ગામના ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહ્વાનને ખરા અર્થમા સાર્થક કરવા દાહોદ જિલ્લામાં એક અભિયાન સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને બાગાયતી પાકો અને આઇ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ વિવિધ યોજનાલક્ષી માહિતી તથા જમીનને વધુ ફળદ્રુપ બનાવવા, પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત વગેરે બનાવવા અને તેના ઉપયોગ કરવાની રીત તેમજ પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી થતા ફાયદા અને લાભ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુમા વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, દાહોદ દ્વારા જિલ્લામાં ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. તેમાં ખેડૂતો પણ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે. જે અંતર્ગત ગત તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ લખણપુર ગામમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા બાગાયતી ખેતી અંગે ૧૦૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.
તાલીમમાં બાગાયત અધિકારી ડી.એમ. પટેલ તથા પી.બી. ધારવા દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.