- સ્તનપાન અમૃત સમાન : માતાનું દુધ બાળક માટે શ્રેષ્ઠ સલામત ખોરાક છે.
- જન્મના પહેલા કલાકમાં જ બાળકને સ્તનપાન કરાવવાનું શરૂ કરવું જોઇએ.
અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન મુજબ વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાઉન્લિર નિલેશભાઇ ચૌહાણને આમંત્રીત કરીને ગાયનેક વોર્ડની મુલાકાત લેવડાવવામાં આવી હતી અને સ્તનપાન તેમજ કાંગારૂ મધર કેર અંગે મહિલા શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી ઉપસ્થીતમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ સહિતની મહિલાઓને બાળક તથા માતા માટે સ્તનપાનના અમુલ્ય ફાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલીકાના કાઉન્સિલર નિલેશભાઇ ચૌહાણ, આરબીએસકે એમ.ઓ ડો.મયુરેશ ગઢવી, ડો.ધારા સુપેડા, કે.એસ.ઠાકોર, નીલકંઠ વાસુકીયા, યજ્ઞેશ દલવાડી, જ્યોત્સનાબેન વિરમગામા, સ્ટાફનર્સ વર્ષાબેન સહિતના આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે, સ્તનપાનએ બાળક માટે અમૃત સમાન છે. માતાનું દુધ બાળક માટે શ્રેષ્ઠ સલામત ખોરાક છે. માતાના ધાવણમાં પાચક, પોષક, રક્ષક, રોચક, બુધ્ધીવર્ધક, માતા બાળકની તંદુરસ્તી સારી રહે, માતા બાળક બન્ને ની મમતા પ્રેમ વધારવા જેવા સાત ગુણ હોય છે. જન્મના પહેલા કલાકમાં જ બાળકને સ્તનપાન કરાવવાનું શરૂ કરવું જોઇએ. પ્રસુતી પછી તરત જ સ્તનમાં આવતા પીળા જાડા પ્રવાહીને કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે. જેમાં ઉપયોગી પ્રોટીન, વિટામીન, મીનરલ્સ તથા રોગપ્રતિકારક દ્રવ્યો ભરપુર માત્રામાં હોય છે. જેથી બાળકને રોગ તથા ચેપ સામે રક્ષણ મળે છે. માતાના ધાવણના જથ્થા માટે માતાએ સમતોલ પૌષ્ટીક આહાર લેવો જોઇએ. બાળકને બોટલનું દુધ આપવાનું ટાળવુ જોઇએ.