વિશ્વ મેલેરિયા દિવસે જાણો મેલેરિયાને અટકાવવાનાં ઉપાયો
દર વર્ષે તા. ૨૫ એપ્રિલને વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નકકી કરવામાં આવ્યું છે. મેલેરીયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરીયા નાબૂદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે આવતી કાલ તા.૨૫/૦૪/૨૦૨૫ ને શુક્રવારના રોજ જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવશે.
મેલેરીયા એ માદા એનોફીલીસ મચ્છરથી ફેલાતો રોગ છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોના સાથ સહકાર મળે તો જ ઝડપી મેલેરીયા મુકત ગુજરાત થઇ શકે. આ વખતે W.H.O. (World Health Organization) દ્વારા નક્કી કરેલ થીમ વિશ્વ મેલેરિયા દિવસ 2025 : “મેલેરિયાનો અંત આપણાથી શરુ થાય છે: પુનઃ નિવેશ કરો, નવેસરથી કલ્પના કરો, જુસ્સો જગાવો”
મેલેરીયા શું છે? – મેલેરીયા તાવ એ ચેપી એનોફીલીસ માદા મચ્છર ધ્વારા તંદુરસ્ત વ્યકિતને કરડવાથી થતો રોગ છે. જેના પ્રકાર : (૧) સાદો મેલેરીયા અને (૨) ઝેરી મેલેરીયા તથા તેના લક્ષણો : (૧) ઠંડી સાથે તાવ આવવો, (૨) માથામાં અને શરીરનાં સાંધામાં દુઃખાવો થવો, (૩) તાવ ઉતરે ત્યારે પરસેવો થવો, (૪) ઉબકા આવવા, ઉલ્ટી થવી તથા (૫) શ્વાસ લેવામાં તકલીફ થવી.
જ્યારે ઉપરોક્ત લક્ષણો જણાય અને તાવ આવે કે તરત નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી. ઝડપી નિદાન અને ઝડપી સારવાર માટે તમારા લોહીની તપાસ કરાવો. માણસ અને મચ્છર વચ્ચેનો સંપર્ક અટકાવવા જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ને દૂર રાખનાર મલમનો ઉપયોગ કરો. તદ્દઉપરાંત સાંજે ઘરમાં લીમડાનો ધુમાડો કરો. સંધ્યા સમયેથી જ તમારા મકાનના બારી બારણા બંધ કરો. જંતુનાશક દવાના છંટકાવથી રહેણાંક ઘરોમાં તમામ રૂમો આવરી લેવાય તેની પૂરેપુરી કાળજી રાખો. ઘર કે ઑફિસમાં ફુલદાની, કૂલર, સિમેન્ટની ટાંકી વગેરેનું પાણી દર 3 દિવસે બદલો. બંધિયાર પાણી વહેતું ન કરી શકાય તેવાં સંજોગોમાં પાણીમાં પોરાભક્ષક માછલી, બળેલું ઓઇલ કે કેરોસીન નાંખો. રહેણાંક ઘરોની આસપાસના પાણી ભરાવવાના સ્થળો દૂર કરો.