દાહોદ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ એક દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. જયારે એક સર્ગભા મહિલાનો રીપોર્ટ પણ કોરોના નેગેટીવ આવતા ગઇ કાલ તા.૧૬/૦૬/૨૦૨૦ ને મંગળવારના રોજ તેમને રજા આપી હતી. દાહોદના રળીયાતી ખાતેના સરકારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્ગભાવસ્થાની વધુ સારસંભાળ માટે ખસેડવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ ૪૪ કેસો પૈકી હવે માત્ર ૨ કેસ જ સક્રિય રહ્યા છે.
અમદાવાદથી પરત ફરેલા ફતેપુરા તાલુકાના ૫૭ વર્ષીય આદમભાઇ ધીરાભાઇ કલાસવાનો તા.૦૭ જુનના રોજ કોરોના પોઝિટિવનો રીપોર્ટ આવ્યો હતો. ત્યાર બાદ તેમને દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પીટલમાં સઘન સારવાર આપવામા આવી હતી. તેઓ કોરોનામુક્ત થતા આજ રોજ તેમને કોવીડ કેર સેન્ટર ખાતેથી રજા આપવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત તબીબો અને હોસ્પીટલ સ્ટાફે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
આ ઉપરાંત ભાવનગરથી પરત આવેલા દાહોદના ૩૫ વર્ષીય હાર્દીકાબેન મોહનીશભાઇ મન્સુરીને તા.૩ જુનના રોજ કોરોના પોઝિટિવનો રિર્પોર્ટ આવ્યો હતો. દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર બાદ તેઓ સાજા થઇ જતાં તેઓ સર્ગભા હોય દાહોદના રળીયાતી ખાતેના સરકારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્ગભાવસ્થાની વધુ સારસંભાળ માટે ખસેડવામાં આવ્યા છે.