THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
જીવન ધોરણ, આર્થિક સ્થાયીકરણ અને સાતત્યતા અંગે સ્માર્ટ સિટી હેઠળ સર્વે હાથ ધરવામાં આવશે, નાગરિકોને ઓનલાઇન પ્રતિભાવ આપવા અનુરોધ
દાહોદ નગરમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા માટે ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઇઝ ઓઇ લિવિંગ સિટીઝન પર્સેપ્શન સર્વ હાથ ધરવામાં આવનાર છે. આ સર્વેમાંથી નાગરિકોના પ્રતિભાવો મેળવી એ પ્રમાણે ભવિષ્યના સ્માર્ટ સિટીના કામો હાથ ધરવામાં આવશે. અહીના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતા દાહોદ સ્માર્ટ સિટીના મુખ્ય કારોબારી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, ઇઝ ઓફ લિવિંગ સર્વેનું કામ કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવ્યું છે. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતો અંગે નાગરિકો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવશે. જેમાં જીવન ધોરણને લગતી બાબતોમાં શિક્ષણની સુવિધા, આરોગ્યની સુવિધા, આવાસ, ગટર અને ઘન કચરા નિકાસ વ્યવસ્થાપન, સુરક્ષા અને સલામતી અને ગતિશીલતાનો સમાવેશ થાય છે. જ્યારે, આર્થિક સ્થાયીકરણ માટે આર્થિક વિકાસનું સ્તર, આર્થિક તકો અને જીની કોફીએન્ટ ઇન્ડેક્સને સમાવવામાં આવ્યા છે. એ જ પ્રમાણે સાતત્યપૂર્ણતામાં વાતાવરણ, ગ્રિન બિલ્ડીંગ, વીજળીનો ઉપયોગઉપયોગ અને સ્થિતિસ્થાપક્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સર્વેમાં કુલ ૨૨ પ્રશ્નોની એક પ્રશ્નાવલી આપવામાં આવશે. તેમાં સારા અને સસ્તા શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, ગાર્બેજ કલેકશન, આનંદપ્રમોદના સ્થાનોની ઉપલબ્ધતા, નાણાકીય સંસ્થાઓની કામગીરી સહિતની બાબતો અંગે નાગરિકો પોતાના પ્રતિભાવો આપી શકશે. આ માટે www.eol2019.org/citizenfeedback ઉપર જઇ નાગરિકો પોતાના પ્રતિભાવો આપી શકશે. પ્રતિભાવો આપવાની છેલ્લી તારીખ ૨૯-૨-૨૦૨૦ છે. આ પ્રતિભાવોના આધારે દાહોદ નગરના વિકાસ કામોનું આયોજન ધરવામાં આવનાર હોવાથી તે મહત્વના છે. એટલે, નગરના તમામ નાગરિકોને આ પ્રતિભાવો આપવા ડો. ગોસાવીએ અપીલ કરી છે. દાહોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી અતુલ સિંહાએ પૂરક પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા હતા.