- એસ.ટી. બસ ઝાલોદ થી ગાંધીનગર જઈ રહી હતી, જ્યારે અલ્ટો કાર સવારો લુણાવાડા થી ઝાલોદ તરફ આવી રહ્યા હતા.
- મહીસાગર જિલ્લાના ઇજાગ્રસ્ત અલ્ટો કાર સવારો ઝાલોદ તાલુકામાં અલગ – અલગ શાળામાં શિક્ષકો તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ગુજરાતની સલામત સવારીના સૂત્ર સાથે દોડાવવામાં આવી રહેલ એસ.ટી. બસોમાં પણ હવે મુસાફરોની સલામતી જોખમાતી જતી હોવાનું જોવા મળે છે. હાલ થોડા સમય માં જ ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર સરકારી એસ.ટી. બસોના અકસ્માત બનાવવાનો સિલસિલો વધી રહ્યો છે. તેમાં પણ આજે તા.૦૨/૦૮/૨૦૨૨ ને મંગળવારના રોજ અંદાજે સવારના ૧૦:૦૦ વાગ્યાની આસપાસ ઝાલોદ થી વાયા સંતરામપુર થઈ ગાંધીનગર જતા હાઇવે માર્ગ ઉપર ઝાલોદ અને સંતરામપુર વચ્ચે એસ.ટી બસ અને અલ્ટો કાર વચ્ચે લખણપુર હાઇવે માર્ગ પર અકસ્માત સર્જાતા અલ્ટો કારમાં સવાર પાંચ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ઝાલોદ દવાખાનામાં પહોંચાડયા હોવાનું જાણવા મળે છે. અલ્ટોમાં ૫ જેટલા સવારો ઝાલોદ તાલુકાના અલગ અલગ ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઝાલોદ થી ગાંધીનગર જતી એસ.ટી બસ નંબર GJ 18 Z 6138 અને અલ્ટો કાર વચ્ચે લખણપુર ટેકરી પાસે અકસ્માત સર્જાવા પામ્યો છે. તેમાં મહીસાગર જિલ્લામાંથી અલ્ટો કાર નંબર GJ 07 AG 5654 માં અપડાઉન કરતા અને ઝાલોદ તાલુકામાં અલગ-અલગ શાળામાં શિક્ષકો તરીકે ફરજ બજાવતા શિક્ષક મુસાફરોને અકસ્માત સર્જાતા પાંચ જેટલા શિક્ષકોને નાની – મોટી ઇજાઓ પહોંચવા પામી હતી. ઇજાગ્રસ્ત શિક્ષકો તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ઝાલોદ દવાખાનામાં પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.
અહીંયા ઉલ્લેખનીય બાબત છે કે, ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર લખણપુર ટેકરી પાસે એસ.ટી બસ અકસ્માતનો ત્રણ દિવસમાં આ બીજો બનાવ છે. અને આ એક જ જગ્યાએ અકસ્માત સર્જાય છે. તેમાં માર્ગ ઉપર વધુ ડામરના કારણે વરસાદી દિવસોમાં સ્પીડમાં જતા વાહનો રેલાવાના કારણે અકસ્માત થઇ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો હાલમાં આ માર્ગને પહોળો કરવા માટે માર્ગની બંને સાઈડમાં ઊંડી ગટરોનું ખોદકામ કરવામાં આવેલ છે. જેના લીધે પણ અકસ્માત વધી રહ્યા છે. ત્યારે નસીબ જોગે આ બંને એસ.ટી બસો ઊંડી ગટરોમાં નહીં ખાબકતા માંડ બચવા પામેલ છે. જેથી મોટી જાનહાની પણ ટળી છે. ત્યારે લાગતા વળગતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને અકસ્માત નિવારવાના પગલાં ભરવામાં આવે તેવી મુસાફરો ગ્રામ્ય જનતાની માંગ છે.