THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
કોરોનાના સંક્રમણને ખાળવા સતત કાર્યરત આરોગ્ય સેનાનીઓએ સગર્ભા મહિલાઓની સેવા કરવાનું પણ ચૂક્યા નહી.
લોકડાઉનથી માનવીય સંચાર થંભી ગયો છે, જનજીવન કંઇ થંભી નથી ગયું. પ્રકૃત્તિનું ચક્ર તો નિરંતર ફર્યા કરે છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પરિણામ સ્વરૂ૫ પ્રકૃત્તિમાં કેટલાક સકારાત્મક પરિવર્તન આવ્યા છે. દાહોદ જિલ્લામાં આ પરિવર્તનના સહભાગી બનવા છેલ્લા દોઢ જ માસમાં ૪૫૮૧ નવજાત બાળકો અવતર્યા છે. લોકડાઉનની અથાક કામગીરી વચ્ચે દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રએ ૪૫૮૧ બાળકોની સંસ્થાકીય પ્રસુતિ કરાવી છે. આ બાળકો ભાગ્યશાળી છે કે, તેઓ જન્મતાની સાથે જ લોકડાઉન વચ્ચે એકદમ શુદ્ધ હવા શ્વાસમાં લઇ રહ્યા છે.
જ્યારથી કોરોનાની આપત્તિ આપણી માથે આવી પડી છે, ત્યારથી આરોગ્ય સેનાનીઓ અથાક મહેનત કરી લોકોના આરોગ્યની હિફાજત કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોનું ઘનિષ્ઠ આરોગ્યલક્ષી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. આરોગ્ય તપાસણીનો એક રાઉન્ડ પૂર્ણ થઇ ગયો છે. જેમાં ૨૫,૦૧,૬૪૩ લોકોને આવરી લેવાયા હતા.
બીજા રાઉન્ડમાં અત્યાર સુધીમાં ૧૯.૩૬ લાખથી વધુ લોકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. આવી કામગીરી વચ્ચે પણ જિલ્લાના ૧૮૮૪ આરોગ્ય સેનાનીઓ પોતાની મૂળભૂત કામગીરી તો ચાલુ જ રાખી છે. એટલે કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર લોકોની આરોગ્યની તપાસણીનું કાર્ય તો શરૂ જ છે. સાથે, આશા (એક્રીડેટેડ સોશ્યલ હેલ્થ એક્ટિવિસ્ટ) વર્કર બહેનો સાથે આરોગ્ય કર્મચારીઓએ દાહોદ જિલ્લાના તમામ ઘરોમાં આરોગ્યલક્ષી સર્વે કર્યો છે. આ તો થઇ કોરોના વાયરસ સામેના યુદ્ધની. પણ, તેની સાથે સગર્ભા મહિલાઓને સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરવામાં પણ જિલ્લાનું આરોગ્ય તંત્ર અવલ્લ રહ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો આર.ડી.પહાડિયાએ જણાવ્યું કે છેલ્લા દોઢ માસની સ્થિતિ જોઇએ તો ગરબાડા તાલુકામાં ૪૮૩, ઝાલોદ તાલુકામાં ૮૯૩, દાહોદ તાલુકામાં ૯૮૪, દેવગઢ બારિયા તાલુકામાં ૫૫૭, ધાનપુર તાલુકામાં ૩૫૩, ફતેપુરા તાલુકામાં ૪૮૭, લીમખેડા તાલુકામાં ૩૬૬, સિંગવડ તાલુકામાં ૨૪૩ અને સંજેલી તાલુકામાં ૨૧૫ બાળકોનો જન્મ થયો છે.
દાહોદ જિલ્લામાં ગત તા.૧૫ માર્ચથી ૩૧ માર્ચના સમયગાળા દરમિયાન ૨૦૭૦ બાળકોની સંસ્થાકીય પ્રસુતિ થઇ હતી. જ્યારે, પ્રવર્તમાન એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ૨૫૧૧ બાળકોનો જન્મ થયો છે. A.N.C. સગર્ભા માતાઓને I.C.D.S. કાર્યકરોના માધ્યમથી પોષણયુક્ત આહાર પણ પૂરો પાડવામાં આવ્યો છે.
આટલું જ નહીં ! સગર્ભા મહિલાઓ માટેની ખાસ ખિલખિલાટ એમ્બ્યુલન્સ પણ સતત કાર્યરત રહી છે. ખિલખિલાટ એમ્બ્યુલન્સનું કામ સગર્ભા મહિલાઓને ઘરેથી દવાખાના સુધી લઇ જવા, લઇ આવવાની સેવા વિનામૂલ્યે પૂરૂ પાડવાનું છે. માર્ચ માસના બીજા પખવાડિયા દરમિયાન ખિલખિલાટ દ્વારા ૪૯૦૪ સભર્ગા મહિલાઓને આ દવાખાને લઇ જવાની સેવા પૂરી પાડી હતી. જ્યારે, એપ્રિલ માસમાં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે પણ અત્યાર સુધીમાં ખિલખિલાટ વાન ૬૩૧૫ સગર્ભા માતા ઓની સેવા કરી ચૂક્યું છે. આમ, લોકડાઉનમાં પણ સમગ્ર સરકારી તંત્ર જનસેવાનું કાર્ય અવિરત પણે ચાલુ જ રાખ્યું છે.