વિશ્વને ટીબી મુક્ત કરવા દાહોદમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય (TB) દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું

0
394

PRAVIN PARMAR – DAHOD

 

દર વર્ષે ૨૪ માર્ચને વિશ્વ ક્ષય દિન તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો સંદેશો *”વિશ્વને ટીબી મુક્ત કરવા માટે આગેવાનોની જરૂર છે”* તે મુજબ દાહોદ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આજ રોજ તા.૨૭/૦૩/૨૦૧૮ મંગળવારના રોજ સવારમાં આશરે ૦૯:૦૦ કલાકે જનસમુદાયમાં ક્ષય (TB) રોગ અંગેની જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીનું પ્રસ્થાન કલેક્ટર જે.રંજીથકુમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ, જેમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુજલ માયાત્રા, દાહોદ નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એચ.પાઠક, સિવિલ સર્જન ડો. આર.એમ.પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડો.પી.આર.સુથાર, ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દાહોદના CEO મૌલેષ શાહ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર.ડી.પહાડિયા, NGO દોસ્ત સંસ્થાના ડો. ચૌધરી વિગેરે એ લીલી ઝંડી આપી આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલીમાં જનરલ નર્સિંગ કોલેજની વિધાર્થીનીઓ, તાલુકા આરોગ્ય સ્ટાફ, RNTCP સ્ટાફમાં MPHW, FHW, FHS, STS રાજેશ પરમાર, STLS નિપુન એન.શાહ પણ જોડાયા હતા. આ રેલી જિલ્લા ક્ષય કેન્દ્ર – સીવીલ હોસ્પિટલ થી યાદગાર ચોક થઈ નગરપાલિકા થી જૂની કોર્ટ રોડ થી ઠક્કરબાપા ચોકડી થઇ સુખદેવકાકા નગર થઈ શિવાજી ચોક પરથી જળભવન થઈ પરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ રેલીમાં ક્ષય (TB) નાબૂદીના બેનર્સ લીફલેટ અને પોસ્ટર દ્વારા સામાન્ય જન સુધી આ રોગની જાણકારી મળે તે માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ રેલીમાં બેનર્સ પર ટીબીના લક્ષણોની પણ માહિતી આપવામાં આવી હતી જેવી કે (૧) બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ખાંસી આવવી, (૨) ઝીણો તાવ રહેતો હોય, (૩) ભૂખ ઓછી લાગવી, (૪) શરીરના વજનમાં ઘટાડો થાય, (૫) છાતીમાં દુખાવો થાય તથા શ્વાસ લેવામાં તકલીફ પડે, (૬) ક્યારેક ગળફામાં લોહી પડે અથવા લોહીની ઊલટી થાય. આમ લગભગ ૮૦% જેટલા દરદીઓને ફેફસાના બેક્ટેરિયાનો ચેપ લાગવાને કારણે ટીબી થાય છે પરંતુ ટીબી શરીરના અન્ય અવયવો મગજ, હાડકા, આંતરડા, કિડનીના પ્રજનનતંત્રના અવયવ અને ચામડીનાં પણ થઈ શકે છે. ટીબીનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે થાય છે. ટીબીના તમામ દર્દીઓની તપાસ GYN.EXPERT મશીન દ્વારા કરવામાં આવે છે.જે લેબોરેટરીની મુલાકાત જિલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ ખાતે કલેકટર જે.રંજીથકુમાર, જિલ્લા વિકાસ અધિકારી સુજલ માયાત્રા અને દાહોદ નગરપાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here