બધા જ હિંદુઓ એક જ માતાના સંતાન છે, અને હિન્દુ સમાજમાં સમરસતા બની રહે, તે માટે બધાયે કાર્યરત રહેવું જોઈએ : પૂજ્ય આનંદ મુર્તિજી મહારાજ
તા.૨૨/૦૮/૨૦૧૮ બુધવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સામાજિક સમરસતા સમિતિ સાણંદ દ્વારા, રક્ષાબંધન સ્નેહ સંમેલન યોજાયું હતુ. જલારામ મંદિર સાણંદ ખાતે યોજાયેલ આ સંમેલનમાં ઈયાવા વાસણા – સાણંદ સ્થિત શંકર તીર્થ આશ્રમના પરમ પૂજ્ય આનંદ મુર્તિજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય આનંદ મુર્તિજી મહારાજના વરદ્દહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આશીર્વચન આપતા પૂજ્ય આનંદ મુર્તિજી મહારાજે કહ્યું કે, “બધા જ હિંદુઓ એક જ માતાના સંતાન છે, અને હિન્દુ સમાજમાં સમરસતા બની રહે, તે માટે બધાયે કાર્યરત રહેવું જોઈએ.”
સામાજિક સમરસતા સમિતિ સાણંદ દ્વારા આયોજિત રક્ષાબંધન સ્નેહ સંમેલનમા રાષ્ટ્રીય સંઘના ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતા ગતિવિધિના સંયોજક ડો.હેમાંગભાઈ પુરોહિતે હાજર રહીને પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ.
દશરથભાઇ રાઠોડે (સામાજિક સમરસતા ગતિવિધિ સંયોજક – સાણંદ) આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં સાણંદ તાલુકાની બધી જ્ઞાતિ જાતિના લોકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને રક્ષા સૂત્ર પણ બાંધ્યા હતા, સાથે સાથે હાથમાં જળ લઈને, પ્રતિજ્ઞા – સંકલ્પ પણ કર્યો હતો કે, “હું સમાજને તોડવાવાળી કુટિલ પ્રવૃત્તિઓ કરવાવાળા પ્રત્યે સમાજને જાગૃત કરીશ, સમાજને આવા ષડયંત્રોથી બચાવીશ, હું પોતે કોઈપણ પ્રકારની અસ્પૃશ્યતાના ભેદભાવવાળા વર્તનથી દૂર રહીશ અને સામાજિક સમરસતા અને એકતાને મારા વાણી અને વ્યવહારમાં લાવીશ. આ સંકલ્પનું પ્રમાણિકતા અને નિષ્ઠા થી પાલન કરીશ.”