૨ વર્ષથી સતત કીડનીની બીમારીથી પીડાતા ગુલાબભાઈને સરકારની આયુષ્યમાન કાર્ડની યોજનાનો મળ્યો લાભ
- સારવાર કરાવવા માટે પૈસા ક્યાંથી કાઢવા એટલે સારવાર નહોતી કરાવી પરંતુ સરકારની કાર્ડ વાળી યોજનાથી મારી સારવાર એકપણ પૈસો લીધા વગર થઇ ગઈ – લાભાર્થી વળવાઇ ગુલાબભાઈ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના વળવાઇ ગુલાબભાઈને ચાલુ વર્ષના માર્ચ મહિના દરમ્યાન એક દિવસ અચાનક આખા શરીરમાં દુખાવો શરૂ થયો. શરીર આખું લુઝ થઇ ગયું, તેઓ જાતે કોઇપણ પ્રકારનું હલન-ચલન કરી શકતા નહોતા. આંખોમાં અંધારા આવવા લાગ્યા, શ્વાસ લેવા મુશ્કેલી થવા લાગી, ધબકારા વધી ગયા અને તેઓ જમીન પર ઢળી પડ્યા.
આસપાસથી લોકો ભેગા થઈને દાહોદ ઝાયડસ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેમની સારવાર સતત ૬ દિવસ સુધી ચાલી. બધી દવાઓ અને ૬ દિવસની સારવાર કરવાના પણ પૈસા લીધા નથી. હું ૬ દિવસની સારવાર પછી હેમખેમ અને સ્વસ્થ થઇ ઘરે ગયો. મારો પરિવાર પણ ખુશ થઇ ગયો. કેમકે એકેય રૂપિયો લીધા વગર મારી સારવાર થઇ હતી ને હું હેમખેમ હતો. ઝાયડસ હોસ્પિટલમાં અમને આયુષ્યમાન કાર્ડના લીધે અમારી પાસેથી એકપણ રૂપિયો લીધો નથી.
ગુલાબભાઇને આગળ પણ લગભગ ૨ વર્ષ પહેલાં આવો જ પ્રોબ્લેમ થયો હતો, પરંતુ ત્યારે તેમણે તેમની સારવાર ૧-૨ વાર પ્રાઈવેટ હોસ્પિટલમાં કરાવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ત્યાં રીપોર્ટ કરાવતાં જાણ થઇ કે, મારી કિડનીની આસપાસ પરુ થઇ જતા લીવર પર સોજો આવી ગયો હતો. જે એક ગંભીર બાબત હતી. ત્યાં તેમની પાસેથી રૂ. ૨૦,૦૦૦ નો પૂરો ચાર્જ લીધો હતો. તેઓ પોતાની પરિસ્થિતિ જણાવતા કહે છે કે, અમે ખેડૂત છીએ. ખેતી કામ કરી ઘર-પરિવારનું ગુજરાન ચલાવું છું, ઘર હાંધવાના પૈસા નથી ત્યાં આવા દવાખાનાનાં ખર્ચા હું તો ઠીક મારા જેવા અન્ય માણસોને પણ ક્યાંથી પોષાય…!
પ્રાઈવેટમાં રૂ. ૨૦,૦૦૦ ની સારવાર કરાવી ને દવા લીધા પછી પણ મને ૨ વર્ષથી સતત આ બીમારી રહી હતી. આખા શરીરમાં દુખાવો થવો, શરીર આખું લુઝ થઇ જવું, કોઇપણ પ્રકારનું હલન-ચલનમાં મુશ્કેલી થવી, આંખોમાં અંધારા આવવા, શ્વાસ લેવા મુશ્કેલી, ધબકારા વધી જવા, આંખોમાં દેખાવું બંધ થવું, કાનોમાં સંભળાવવાનું બંધ થઇ જવું અને બોલી પણ નહોતું શકાતું. પરંતુ પૈસાની કમીને લીધે અમે સારવાર નહોતી કરાવી. જ્યારે અમને જાણ થઇ કે, સરકાર દવાખાનામાં થતો ખર્ચો આપે છે પણ એને માટેનું કાર્ડ કઢાવવાનું હતું. જેની અમે જાણકારી લઈને આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું હતું.
આજે મને દવાખાનાની કે પૈસાની ચિંતા નથી. કેમકે સરકાર મારી સારવારના પૈસા આપે છે. આવડા મોટા હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળતા હવે હું ઠીક થઇ ગયો છું. હવે હું નાના-મોટા કામ કરી શકું છું. હવે મને કે મારા પરિવારને કોઈ ચિંતા રહી નથી. હવે મારા તમામ અંગો હવે કામ કરે છે. સરકારની આ આયુષ્યમાન કાર્ડ યોજના દ્વારા મને તરત જ અને મફત સારવાર મળી એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.