PIYUSH GAJJAR – VIRAMGAM
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલણપુર ગામમાં પ્રવેશ કરતાં જ ચારે તરફ હરિયાળીનો અહેસાસ થાય છે. અંદાજે ૧૪૦૦ની વસ્તી ધરાવતાં આ માલણપુર ગામમાં ૮૫૦૦ વૃક્ષોથી વધુ એટલ કે વ્યક્તિદીઠ ૬ થી વધુ વૃક્ષોને વાવીને તેનું જતન કરવામાં આવ્યું છે. ગામનો પ્રવેશદ્વાર ગામનું આકર્ષણનું કેન્દ્ર છે. મહેનત, એકતા અને પ્રેરણાત્મક વિચારો ધરાવતાં આ ગામમાં સમયાંતરે સતત વિકાસકાર્યો થતાં રહે છે, સ્માર્ટ સીટી બનવાની હોડ છે ત્યારે આ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. ગામમાં વર્ષોથી વડવાઓ દ્વારા કૂતરા માટે, પાણીની પરબ માટે અને ગાયોના ઘાસચારા માટે અલગ અલગ ખેતરો ફાળવેલા છે, આ ખેતરોમાંથી જે આવક થાય એ ગાયો, કૂતરા અને પાણીની પરબ માટે જ વાપરવામાં આવે છે. મહિલા સમરસ માલણપુર ગામ સાચા અર્થમાં અન્ય ગામો માટે ઉદાહરણરૂપ છે.