દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સાંજ સુધીમાં ૩૫૭ યુનિટ બ્લડ ડોનેટ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસને વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવવાની પરંપરા રહી છે, ત્યારે આજે તા.૧૭/૦૯/૨૦૨૨ ને શનિવારના રોજ દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં રક્તદાન કાર્યક્રમ યોજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનને ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત દાહોદ સહિત છ તાલુકાઓમાં યોજાયેલા રક્તદાન કાર્યક્રમોમાં સાંજ સુધીમાં ૩૫૭ યુનિટ જેટલું બ્લડ ડોનેટ કરાયું છે.
આ રક્તદાન કાર્યક્રમોમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં દાહોદની ઝાયડસ હોસ્પીટલ અને રેલ્વે હોસ્પીટલ ખાતેના કાર્યક્રમોમાં વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. જયારે નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ ઝાયડસ હોસ્પીટલ ખાતે ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કરીને નગરજનોને રક્તદાન માટેનો સંદેશો પાઠવ્યો હતો.
જયારે દેવગઢ બારીયા ખાતે યોજાયેલા રક્તદાન કાર્યક્રમમાં પૂર્વમંત્રી અને ધારાસભ્ય બચુભાઇ ખાબડ અને નગરપાલિકા પ્રમુખ ચાર્મીબેન સોની, ફતેપુરામાં અગ્રણી શંકરભાઇ અમલીયાર, ગરબાડામાં સાંસદ તેમજ સુધીરભાઇ લાલપુરવાલા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત લીમખેડામાં ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર અને ઝાલોદમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતા. રેલ્વે હોસ્પીટલ ખાતેનો રક્તદાન કાર્યક્રમ અહીંના દેવેન્દ્ર હાડા અને સંજય કપુરના સહયોગથી યોજાયો હતો. તેમજ ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર જગંદમ્બા પ્રસાદ સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ વેળા ચીફ વર્કશોપ મેનેજર વિનય કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને આયોજીત રક્તદાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા. આ રક્તદાન કાર્યક્રમો દાહોદ અને ગોધરાની રેડક્રોસ સંસ્થા તેમજ ઝાયડસ હોસ્પીટલના સહયોગથી યોજવામાં આવ્યા હતા. તેમજ તમામ કાર્યક્રમોના સંકલનની કામગીરી જિલ્લા ક્ષય અને લેપ્રસી અધિકારી ડો. આર.ડી. પહાડીયાએ કરી હતી.