KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે જિલ્લા પોલીસ વડા મનોજ નિનામાએ જણાવ્યું છે કે, ગૌવંશના પશુઓની હત્યા અટકાવવા પશુઓની ગેરકાયદે કતલ કરવાના દૂષણને નાથવા દેશમાં એકમાત્ર ગુજરાતે પહેલ કરીને કાયદો વધુ કડક બનાવી ચુસ્તપણે અમલ શરૂ કરી દીધો છે. જેના ભાગરૂપે આજે વહેલી સવારે દાહોદ ખાતેથી ટાઉન પી.આઇ. ડામોર સાહેબ દ્વારા દાહોદ ખાતેથી બે જીવતા વાછરડાને બચાવાયા છે તથા ૧ બળદ, ૧ ગાય, મૃત હાલતમાં કબ્જે કરાયા છે. અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં જિલ્લા પોલીસ વડાશ્રીએ ઉમેર્યું કે, જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની દ્રઢ ઇશ્છાશક્તિ અને સંવેદનશીલ સરકારે ગૌવંશની સુરક્ષા માટે ચુસ્તપણે કાયદાનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે આ સફળતા મળી છે અને રાજ્યમાં આ પ્રથમ કેસ નોંધાયો છે. દાહોદ ખાતે જિલ્લા પોલીસ તંત્રને માહિતી મળતા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પરોઢિયે જૂના વણકરવાસ કસ્બા દાહોદ ખાતેથી ૨ વાછરડા જીવતા અને ૧ બળદ, ૧ ગાયને મૃત હાલતમાં કબ્જે લીધા છે. આ વેળાએ દાહોદથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા મનોજ નિનામાએ ઉમેર્યું કે, આ રેડ દરમ્યાન એક વ્યક્તિના મકાનમાં ગેરકાયદેસર રીતે ગૌવંશ લાવી ક્રુરતા પૂર્વક બાંધી રાખી કતલ કરવામાં વપરાતા હથિયારો, કપાયેલ બંને ગાય અને બળદ તથા જીવતા વાછરડાઓ કબજે કરાયા છે. સ્થળ ઉપર પોસ્ટ મોર્ટમ કરી પ્રાથમિક પ્રમાણપત્ર મેળવ્યા બાદ નમૂનાઓને FSLમાં મોકલી અપાયા છે. રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને પરિણામે આરોપીઓ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.