દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરની ગ્રામ પંચાયતમાં વારંવાર કંઈકને કંઈક ડખાઓ થયા કરે છે, પરંતુ વહીવટી તંત્ર આ બાબતોમાં કેમ મૌન સેવે છે તે જાણવું રહ્યું. આજે તા.૨૫/૧૧/૨૦૧૯ ને સોમવારના રોજ ગ્રામ પંચાયતને અગાઉ આપેલ અરજીઓના નિકાલ બાબતમાં બહુ સમય વિતવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં ન લેવાતા અને તેનો નિકાલ ન લેવાતા ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવી હતી. વીસ વર્ષ અગાઉ ગ્રામ પંચાયતની મિલકતની દુકાનો ભાડા પેટે આપી હતી. તેમાં સરપંચો બદલાયા છતાં આ દુકાનોના ભાડામાં કોઈ જાતનો ફેરફાર કરવામાં પણ આવેલ નથી અને મુદત પૂરી થતાં તે બાબતમાં કોઈ જાતનો નિકાલ આવ્યો નથી.
સરકારી મિલકતોનો પંચાયત તરફથી કોઈ એક્શન લેવાતું નથી. સભ્ય અને સરપંચો નિષ્ફળ રહ્યા છે આ બાબતોમાં તાળાબંધી કરનારનો અગાઉ નિકાલ ન થતા ઈરફાન ભાભોર, વિશાલ નાહર, ઈલિયાસ ભાભોર, રફીક ગુડાલાઓએ તાળાબંધી કરી હતી. તેઓએ કહ્યું હતું કે જ્યાં સુધી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવે, ગામમાં સફાઈ, દબાણ અને દબાણના લીધે ભયંકર ટ્રાફિક, રોડ ઉપર કાયમી વહેતું ગટરનું પાણી, ગટર બ્લોક હોવાના કારણે રોડના પાણીના નિકાલ માટે રોડની સાઈડમાં ગટર લાઈન બનાવવી જરૂરી છે, ફતેપુરામાં વાવ આવેલી છે ત્યાં કોલેરા ફાટી નિકળે તેવી અસહ્ય ગંદકી અને ન સહાય તેવી દુર્ગંધ આવે છે. તેના જોડે ગ્રામ પંચાયતનો કુવો આવેલ છે. તેમાં ભાણાસીમલ જૂથનુ પાણી નાખવામાં આવે છે. તેમાંથી સંપમા પાણી નાખી નળ વાટે ગામમાં પીવાનું પાણી આપવામાં આવે છે અને તે પાણી પણ દુર્ગંધ મારે છે. ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોને તાળા મારવાની કાર્યવાહી કરવાની બાહેધરી સાથે જણાવતા ગ્રામ પંચાયતનું તાળું ખોલી આપ્યું હતું. આમ સરકારી મિલકતોને પચાવી પાડવાની નીતિ જણાતા ભ્રષ્ટાચાર રોકાય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી ગ્રામજનોની વહીવટી તંત્રને ભલામણ છે અને ટ્રાફિક સમસ્યા માટે ગામમાં પણ લોકો સ્વેચ્છાએ પોતાના ઓટલા તોડવા માટે પણ તૈયાર છે તેવી જાણકારીઓ પ્રાપ્ત થઇ રહી છે પરંતુ ગ્રામ પંચાયત આ બાબતમાં કોઈક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. શું તંત્ર આ બાબતે પગલાં ભરશે ખરી? કે પછી આંખ આડા કાન કરી આંધળા બહેરાની જેમ દેખ્યા જ કરશે?