દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લામાં કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને નાગરિકોને આગામી ગણેશ ઉત્સવ અને મહોર્રમ જેવા તહેવારની ઉજવણી ઘરે જ રહી કરવા અપીલ કરી છે. તેમણે પોતેે અપીલ કરતા જણાવ્યું કે, કોરોના સંક્રમણનાં આ વિશ્વવ્યાપી સંકટનો આપણે છેલ્લા પાંચ મહિનાથી દ્રઢતાથી સામનો કરી રહ્યાં છે. આ માટે કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા પણ બહાર પાડીને ધાર્મિક તહેવારોની ઉજવણી બાબતે સપષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આગામી ધાર્મિક તહેવારો ગણેશ ઉત્સવ અને મહોર્રમની ઉજવણી બાબતે પણ માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, આ જાહેરનામા મુજબ નાગરિકોએ ગણેશ ઉત્સવ અને મહોર્રમની જાહેર સ્થળો ઉપર સભા, સરઘસ, વિસર્જન કે કોઇ પ્રકારના આયોજન-ઉજવણી કરી શકશે નહી અને ઝૂલસ કે સરઘસ પર પણ પ્રતિબંઘ હોય પરવાનગી આપવામાં આવશે નહી. બંન્ને તહેવારો નાગરિકોએ ઘરે જ રહીને ઉજવવાના રહેશે. જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આપણે તંત્રને પૂરો સહયોગ આપીએ અને તહેવારોની ઉજવણી ઘરે જ રહીને કરીએ એ જરૂરી બન્યું છે.
નેશનલ ગ્રીન ટિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટન માર્ગદર્શીકા મુજબ જળાશયોમાં મૂર્તિ વિર્સજન કરવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે. માટે કોઇ પણ જળાશયમાં મૂર્તિ વિસર્જિત નહી કરી શકાય. મૂર્તિનું વિસર્જન પણ નાગરિકોએ ઘરે જ કરવાનું રહેશે. આ બાબતો ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાનો પણ તહેવારોનું આયોજન કરે અને કોરોના સામેના સંગ્રામમાં પૂરતો સહયોગ આપે એ ખૂબ જરૂરી છે તો જ આપણે કોરોનાને જિલ્લામાંથી દૂર કરી શકીશું.