EDITORIAL DESK – DAHOD
દાહોદ જિલ્લાના મતદારો નવા નામ નોંધાવવા સુધારણા કમી કરાવવા જુલાઇ – ૧૭ ના મતદાર યાદી સુધારણા માટેની વિશેષ ઝુંબેશનો લાભ લો – જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર (ઇન્ચાર્જ) સુજલકુમાર મયાત્રા.
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧/૧/૨૦૧૭ ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજયની તમામ વિધાનસભા મતવિભાગની મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે અંતર્ગત દાહોદ જિલ્લાના મતદારોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર (ઇન્ચાર્જ) શ્રી સુજલકુમાર મયાત્રાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના મુદ્રિત અને વિજાણુ માધ્યમના કર્મીઓ સાથે એક પત્રકાર પરિષદ જિલ્લા સેવાસદનના સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી.
પત્રકાર પરિષદને સંબોધતા અધ્યક્ષસ્થાનેથી શ્રી સુજલકુમાર મયાત્રાએ જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્રારા લાયકાત ધરાવતા નવા મતદારો માટે નામ નોંધણી, નામો કમી કરવા કે ઉમેરવા, નામમાં સુધારણા વગેરે માટે જુલાઇ-૨૦૧૭ આખો મહિનાનો કાર્યક્રમ મતદારો (લોકો) માટે જાહેર કરવામાં આવ્યો છે. તે સંદેશાને જનજન સુધી પહોંચાડી જનજાગૃતિ આવે અને વધુને વધુ લાયકાત ધરાવતા મતદારો નામ નોંધાવી લોકશાહીને મજબૂત કરવા કટિબધ્ધ બને તે માટેનો મુળભૂત ઉદેશ છે. મીડીયા કર્મીઓ વધુને વધુ પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો કરશે તો ચૂંટણી પંચનો મૂળભૂત હેતુ સાર્થક થશે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.એસ.પ્રજાપતિએ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની જાણકારી આપતા તા. ૯/૭/૨૦૧૭, તા. ૧૬/૭/૨૦૧૭ અને તા. ૨૩/૭/૨૦૧૭ ના રોજ આવતા રવિવારના દિવસોએ ખાસ અભિયાન યોજાશે. આ ત્રણેય દિવસોએ સંબંધિત મતદાન મથકોએ બી.એલ.ઓ સવારના ૧૦:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી હાજર રહી હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારશે તેનો છેવાડાના વ્યકિતઓ સુધી સંદેશો પહોંચાડી ઘર બેઠાં આ ઝુંબેશનો લાભ લે તે માટે માધ્યમ કર્મીઓને જણાવ્યું હતું
આ પત્રકાર પરિષદમાં નાયબ માહિતી નિયામકશ્રી નલિન બામણ્યા, ચૂંટણી શાખાના મદદનીશશ્રી અતુલ જોષી (કાકાજ), ચૂંટણી શાખાના નાયબ મામલતદારશ્રી પરમાર તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.