દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વેની તૈયારીના ભાગરૂપે રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત લોકાર્પણ કાર્યક્રમને લઇને નિરીક્ષણ માટે પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલએ રેલ્વે વર્કશોપની મુલાકાત લીધી હતી. પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલએ દાહોદ રેલ્વે વર્કશોપની મુલાકાત દરમ્યાન રેલ્વે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમ્યાન પ્રભારી સચિવએ ઉપસ્થિત અધિકારીઓને વડાપ્રધાનના વર્કશોપના લોકાર્પણ કાર્યક્રમને ધ્યાને રાખીને જરૂરી સૂચનો આપવાની સાથે માર્ગદર્શન આપ્યું હતું. રેલ્વે અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપીને વડાપ્રધાનનાં આગમન સમયે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે એ જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર દેવન્દ્રસિંહ મિણા, ચીફ વર્કશોપ મેનેજર મનીષકુમાર ગોયલ સહિત રેલ્વેના સિનિયર અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.