
- મચ્છરો ચોવીસ કલાક કડરતા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે સ્વચ્છતા રાખવા અનુરોધ કરતા C.D.H.O. ર્ડા. શિલ્પા યાદવ
- લાંબાગાળાની દવાયુકત મચ્છરદાની પુરી પાડી દરેક ગામોમાં જનજાગૃતી કરવાથી મચ્છરજન્ય રોગોમાં ધટાડો નોંધાયેલ છે : નરેન્દ્રસિંહ રાઠોડ
વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો ખાતે રાજય સરકારની સૂચના અનુસાર જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન અનુસાર જિલ્લાની સંવેદનશીલ તમામ વિસ્તારની સગર્ભા માતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાવેલી મચ્છરદાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ સહિત અમદાવાદ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કુમરખાણ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતીના ચેરમેન જગદીશભાઇ મેણીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.રાકેશ ભાવસાર સહિત મોટી સંખ્યામાં સગર્ભા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મચ્છરદાની વિતરણ કાર્યક્રમમાં વાહકજન્ય રોગ જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા, રોગ ફેલાવતા મચ્છરોથી બચવા સગર્ભા માતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાવેલી મચ્છરદાનીમાં સુવા માટે જાણકારી આપવામાં આવી હતી અને આ માટે વાહકજન્ય રોગથી બચવા માટેની વિગતવાર સમજ આપવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત અમદાવાદના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણના પ્રમુખ સ્થાને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કાવીઠા, તા.બાવળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. શિલ્પા યાદવ, જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા. અલ્પેશ ગાંગાણી, વિજય પંડિત ઉપસ્થીત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. શિલ્પા યાદવે મહિલાઓને મચ્છરોથી બચવાના ઉપાયો ની જાણકારી આપી હતી. મચ્છર ચોવીસ કલાક કરડવાનું કામ કરતા હોવાથી સ્વસ્છતા રાખવા ખાસ અનુરોધ કર્યો હતો. સાણંદ તાલુકામાં ધારાસભ્ય કનુભાઇ પટેલના હસ્તે સગર્ભામાતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાવેલી મચ્છરદાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, ચાલુ વર્ષ મચ્છરજન્ય (વાહકજન્ય) રોગો ન થાય અને અગાઉના વર્ષોની સાપેક્ષમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો જિ.પં.અમદાવાદ આરોગ્ય શાખા દ્વારા હાથ ઘરેલ છે. જેમાં સર્વેલન્સ, બી.ટી.આઇ કામગીરી, અબેટ કામગીરી, ગપ્પી ફીશ મુકવાની કામગીરી, પોરાનાશક કામગીરી તથા ફોગીંગ, ચુનાનું ડસ્ટીંગ અને લાંબાગાળાની દવાયુકત મચ્છરદાની પુરી પાડી દરેક ગામોમાં જનજાગૃતી કરવાથી મચ્છરજન્ય રોગોમાં ધટાડો નોંધાયેલ છે. આ કામગીરીને સતત ચાલુ રાખી વેગવંતી બનાવી હજુ પણ ધટાડો થાય તેવા પ્રયત્નો જિલ્લા પંચાયત અમદાવાદની મેલેરીયા શાખા દ્વારા હાથ ધરેલ છે.