PRIYANK CHAUHAN GARBADA
દર વર્ષે ૨૧ ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે અને આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકારના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના શહીદ થયેલ જવાનો કે જેમને સીમા સુરક્ષા બલમાં ડ્યૂટિ દરમ્યાન દેશની સુરક્ષા માટે બલિદાન આપીને તેમના પ્રાણ ન્યોછાવર કર્યા હોય તેવા શહીદ જવાનોએ જે સ્કૂલમાં અંતિમ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું તે સ્કૂલમાં શહીદ જવાનોની યાદમાં અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ગરબાડા તાલુકાની જેસાવાડા ગામની યશ વાટીકા ઉત્તર બુનિયાદી વિદ્યાલય જેસાવાડામાં આ પ્રસંગને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક કક્ષાએથી મળેલ માહિતી મુજબ, દાહોદ જિલ્લાના ચાંદાવાડા ગામના શહીદ જવાન સ્વ.બી.ખેમસિંહ (કોંસ્ટેબલ) કે જેઓએ ગરબાડા તાલુકાના જેસાવાડા ગામની યશ વાટીકા ઉત્તર બુનિયાદી વિદ્યાલય જેસાવાડામાંથી તેમનું અંતિમ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું તેમની યાદમાં આજરોજ તારીખ.૨૧/૧૦/૨૦૧૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યશ વાટીકા ઉત્તર બુનિયાદી વિદ્યાલય જેસાવાડામાં આ અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાલયમાં સીમા સુરક્ષા બલ શહીદની શૌર્ય પટિકા સ્થાપિત કરવામાં આવી હતી જેથી વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોના મનમાં શહીદો માટે માનની લાગણી ઉત્પન્ન થાય અને દેશપ્રેમ અને દેશસેવાની ભાવના જાગૃત થાય તેવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં યશ વાટીકા ઉત્તર બુનિયાદી વિદ્યાલય જેસાવાડાના શિક્ષકગણ, કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમની ઉજવણી નિમિતે દાંતીવાડાની સીમા સુરક્ષા બલ બટાલિયનના આઠ થી દશ જેટલા ઓફિસર હાજર રહ્યા હતા અને તેમણે શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને શહીદોની વીરગાથા જણાવી હતી અને સર્જીકલ સ્ટ્રાઇક વિષે પણ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને સમજ આપી હતી.