

PIYUSH GAJJAR – VIRAMGAM
પંછી..નદીયા..પવન કે ઝોંકે ..,કોઇ સરહદ ઇન્હેં ન રોકે…
વિરમગામ નજીક નળસરોવર માં વિદેશી અતિથિ પક્ષીઓનું આગમન. મોટીસંખ્યામાં સહેલાણીઓ અહીં આ નજારો જોવા આવે છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષીઅભ્યારણ્ય નળસરોવર એ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. શિયાળાની શરૂઆત થતા જ નળસરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઑ ડિસેમ્બર થી માર્ચ મહીનાઓ દરમિયાન મહેમાન બને છે. નળસરોવરએ 120.08 કીમી. ના છીછરા પાણીમાં પથરાયેવલું છે. જે પક્ષી અભ્યારણ્ય માટે જાણીતું છે. 250 થી વઘુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે. ઉપરાંત 72 જાતિની માછલીઓ, 48 જાતની લીલ, 72 જાતિની સુષ્રુપ્ત વનસ્પતિઓ, 76 જાતની જળચર પ્રાણીઓ અહીં રહેલા છે. આ બઘાને નિહાળવા ડીસેમ્બર મહીના થી જ ખુબ મોટી સંખ્યામાં દૂરદૂરથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં નજારો જોવા આવે છે.
વિરમગામ તાલુકાનું નળસરોવર પ્રખ્યાત પક્ષી અભ્યારણ્ય ખાતે આજકાલ ગલ્ફ તરફથી હજારો ફ્લેમિંગો ઉતરી આવ્યા છે. આવા પક્ષીઓ માટે આવા સ્થળો માત્ર તરસ નથી છીપાવતા. મસ્તી કરતા કરતા ને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ પક્ષીઓ માણે છે. આ પક્ષીઓ (ફ્લેમિંગો) ને કુદરતી સુઝ પણ હોય છે એટલે કે પાણી જોઇને ગમે ત્યાં ઉતરી પડતા નથી. તેઓ પાણીનું ચોક્કસ લેવલ અને સુરક્ષાની ખાતરી કરીને જ ઉતરાણ કરે છે.
આ પક્ષી અભ્યારણ્ય માં દેશી-વિદેશી પક્ષીઓમાં યાયાવર , ગુલાબીપેણ, લડાખી ઘોમડો, ગજપાઉં, ભગતડું, પાનલવા, હંસ, બતક, સંતાકુકડીપેણ, કાબીપુચ્છ, સીંગપર, કાળી બગલી, ઘોળી બગલી, ખલીલી, સર્પગ્રામ, ગયલો, સારસ, સીસોટી બતક, કુંજ, નીલ, જળમુરધો, ભગવી સુરખાબ, મોટી હંજ, શ્ર્વેતપંપજળ, મત્સ્યોભોજ વગેરે પક્ષીઓ મહેમાન બને છે.
નળ સરોવર એટલે રંગ-બેરંગી પક્ષીઓનુ નિવાસ સ્થાન, દેશ- વિદેશના પક્ષીઓની સુદંરતા અને મધુર સ્વર માણવા ગુજરાતના નળ સરોવરે જરૂરથી આવજો. શિયાળો જામ્યો છે. દુનિયાભરના પક્ષીઓ મહેમાન બની અહીં પહોંચી ગયાં છે. પોતાની હાજરીથી નળસરોવરને પંખીઓનો મેળો કૈલાસ માનસરોવર બનાવી દે છે. અમદાવાદથી માત્ર 60 કિલોમીટર નજીક આવેલું આ નળસરોવર અતિ રમણીય છે ને આ પક્ષીઓની હાજરીએ, આ સરોવરને પ્રિય પર્યટન સ્થળ બનાવી દીધું છે.
આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે 120 ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી અત્યારે ગુજરાત રાજયના વન વિભાગની છે. અમદાવદ શહેરથી નળ સરોવર ૬૨ કિ.મી. દૂર આવેલું છે. નળ સરોવરનો વિસ્તાર ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાણવાળો વિસ્તાર છે આથી તે દરિયા સાથે જોડાયેલો વિસ્તાર હોવો જોઇએ એવું અનુમાન છે. નળ સરોવર પ્રવાસી યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફલેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની માહિતી પણ મેળવે છે. આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી, તેમાં માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે આથી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ અહીં ધામા નાખે છે. દૂર ઇરાન અને અફઘાનિસ્તાનથી પણ પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે. પક્ષીઓનું પ્રમાણ આ સરોવરમાં વધારે હોવાથી પક્ષીવિદો માટે આ સરોવર એક તીર્થ સમાન છે. પક્ષી અભયારણ્ય નળ સરોવરની આસપાસના વિસ્તારોને ‘ઇકો ફ્રેજાઇલ ઝોન” તરીકે જાહેર કર્યા બાદ ભારત સરકારના વન વિભાગ અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાતના બાવીસમાંથી વધુ બીજા છે અભયારણ્યની વર્તળાકારે ૫.૫ કિ.મી. સુધીના વિસ્તારને ઇકો ફ્રેજાઇલ ઝોન તરીકે જાહેર કર્યો છે. આ કારણોસર અહી હવે કોઇપણ પ્રકારની વ્યાપારિક કે પર્યાવરણને નુકશાનકર્તા પ્રવૃતિ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે.