દાહોદ જીલ્લાના નવરચિત સંજેલી તાલુકાની બીજી સામાન્ય સભા તાજેતરમાં સંજેલી તાલુકા ભવનના સભાખંડમાં તાલુકા પ્રમુખ માનસિંહ ભાભોરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં યોજના સહ તાલુકા વિકાસ અધિકારી વી. ડી. ખાંટ તથા અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના સભ્યો દ્વારા દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં ઉભી થનારી વિકટ પરિસ્થિતિને પહોચી વાળવામાંટે ઘાંસચારો, પીવાનું પાણી, રોજગારી, પાક નિષ્ફળતા, પ્રાથમિક શાળાના જર્જરીત ઓરડાના રીપેરીંગ કામો તથા અન્ય નાનામોટા કામોની ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યા હતા અને જેમાં ૨૦૧૫ – ૨૦૧૬નું સુધારેલ અંદાજપત્ર તેમજ ૨૦૧૬ – ૨૦૧૭ નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. આમ સંજેલી તાલુકાની બીજી સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.