દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા થી બલૈયા રોડ, બાયપાસ રોડ, ઉખરેલી રોડ, પોલીસ સ્ટેશન રોડ વિગેરે રોડ ઉપર વરસાદના કારણે મસમોટા ખાડાઓ પડી ગયેલ હતા. આ ખાડાઓની પૂરવા માટેની વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ખાડાઓ ઉપર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તેના પેચવર્કનું કામ કરવામાં આવ્યું ત્યારે તે મસમોટા ખાડાઓમાં ફક્ત કપચી નાખી અને ખાડાઓ ભરી દેવામાં આવ્યા હતા. તે ખાડાઓમાં ભરેલ કપચી ઉપર કોઈ પણ પ્રકારનો ડામર કે કેમિકલ પાથરવામાં ન આવતા બાઈક સવાર તેમજ ફોર વ્હિલર ગાડી નીકળતા ગાડીના ટાયરથી કપચી ઉડીને લોકોને વાગે છે અને બાઈક સવારો પણ આ પેચવર્ક કરેલા ખાડામાં બાઈકનું ટાયર પડતા સ્લીપ મારી પડી જાય છે.
વધુમાં આવું આજુબાજુના રોડ ઉપર બધી જગ્યાએ બનેલ છે. અને આ મસમોટા ખાડાઓમાં કરેલ પેચવર્કમાં વેઠ ઉતારવામાં આવી હોય તેવું જણાઈ આવે છે. તો તંત્ર દ્વારા જેને પણ આ પેચવર્કનું કામ સોંપવામાં આવ્યું તો તે પેચવર્કનું કામ બરોબર કર્યું કે કેમ તે તપાસ કરવામાં કેમ નથી આવી. તંત્ર દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવી રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.