બાળવાટિકા, ધોરણ એક ના બાળકોને પેન પાર્ટી દફતર કંપાસ આપી શાળામાં પ્રવેશ અપાયો.
ફતેપુરા તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત તાલુકાની શાળાઓમાં નવીન શરૂ થયેલ બાલવાટિકા, ધોરણ – ૧ માં શાળાના બાળકોને અભ્યાસ અર્થે પ્રવેશ આપવામાં આવ્યો હતો. તાલુકાના મોટીરેલ, સલરા, ઘુઘુસની શાળાઓમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારના હસ્તે બાલવાટિકાના બાળકોને તથા શાળાના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી પેન, પાટી, પુસ્તક, દફતર, કંપાસ, પાણીની બોટલો આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો. પ્રવેશની સાથે પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન સો ટકા હાજર રહેનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શંકરભાઈ અમલીયારે વિદ્યાર્થીઓ વાલીઓને સંબોધીને જણાવ્યું હતું બદલાતા સમયની સાથે શિક્ષણની ખૂબ જ જરૂર હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા વાલીઓને અપીલ કરી હતી. સરકાર દ્વારા શિક્ષણ પ્રત્યે તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી હોવાની વાત કરી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પોતાના બાળકને ભણાવી ગણાવી આગળ વધારી નોકરી કરી શકે તેવા પગભર કાબેલ બનાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે SMC ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય, આંગણવાડી બહેનો સાથે મીટીંગ યોજવામાં આવી હતી.
તાલુકામાં પ્રથમ દિવસે 1066 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. નાની ઢઢેલી, વાંકાનેર ગામે ધારાસભ્ય રમેશભાઈ કટારા અને શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોરે બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.