૩૧ ઓગસ્ટથી શરૂ થયેલી Dial ૧૧૨ જનરક્ષક સેવા આજે સમગ્ર રાજ્યમાં જનતાની સુરક્ષા અને વિશ્વાસનું પ્રતીક બની છે. દાહોદ જિલ્લામાં હાલમાં કુલ ૨૩ PCR વેન સતત ૨૪x૭ કાર્યરત રહી જિલ્લાની સલામતી માટે સક્રિય સેવા આપી રહી છે.
તા.૨૬/૧૨/૨૦૨૫ ના રોજ બાવકા ચોકડી (જેસાવાડા) ખાતે Dial ૧૧૨ કંટ્રોલ રૂમ પર એક સંવેદનશીલ કોલ પ્રાપ્ત થયો હતો. કોલની માહિતી મુજબ જેસાવાડા બજારની ચોકડી પાસે એક અજાણ્યા વૃદ્ધ મહિલા એકલા બેઠા હોવાનું જણાવાયું હતું. કોલ મળતાની સાથે જ Dial ૧૧૨ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ અને ટૂંક સમયમાં ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાને દેખાતું ન હતું તેમજ ઓછું સંભળાતું હતું. જેના કારણે તેઓ પોતાનું નામ અને વિગત જણાવવામાં અસમર્થ હતાં. વધુ પૂછપરછ અને માનવતાપૂર્ણ વ્યવહાર દ્વારા જાણવા મળ્યું કે, તેઓ અભલોડ ગામના ભુદરખેડી ફળીયાના રહેવાસી છે. Dial ૧૧૨ ની ટીમે માનવતા, સંવેદનશીલતા અને ઝડપી કાર્યવાહી દાખવી મહિલાને સંપૂર્ણ સુરક્ષિત રીતે તેમના પરિવારજનોને સાથે મિલન કરાવી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.


