THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
એસ.ટી. નિગમ દ્વારા રાજ્યમાં આજથી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે એસ.ટી. બસ સેવા ચાર ઝોનમાં વહેંચણી. સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મધ્ય ગુજરાત ઝોન એમ ચાર ઝોન નક્કી કરાયા છે. પણ હાલની પરિસ્થિતિમાં એક ઝોનમાંથી બીજા ઝોનમાં એસ.ટી. જશે નહિ જેને ધ્યાને લઇ દાહોદ ડેપો મેનેજર જે.આર. બુચ દ્વારા દાહોદ જિલ્લામાં આંતરિક બસની સેવાનું આવાગમન શરૂ કરાયું છે.
જેમાં મોટી બસમાં 30 પ્રવાસીઓ અને મીની બસમાં 18 પ્રવાસી બસમાંથી પ્રવાસ કરી શકશે. પ્રવાસી પાન- ગુટકા ખાઈ તેની પીચકારી નહીં મારી શકે. મુસાફરોએ બસ માટે ઓનલાઇન ટિકિટ લેવાની હતી. બસ સ્ટેશન ખાતે ટિકિટ વિન્ડો ઉપરથી ટિકિટ આપાઈ ન હતી. તમામ મુસાફરોનું દાહોદ બસ સ્ટેન્ડ પર થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને માસ્ક પહેરેલા પ્રવાસીને જ બસમાં બેસવા દેવામાં આવ્યા હતા
સવારે ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી જ આ બસ સેવા ચાલુ રહેવાની હોવાનું ગાઈડ લાઈનમાં સ્પષ્ટ જણાવાયું છે. દાહોદ જિલ્લામાં પહેલી બસ દાહોદ થી ઝાલોદ માટે ઉપાડી હતી અને બીજી દાહોદ થી દેવગઢ બારીયા માટે ગઈ હતી. દાહોદમાં આજે બધી બસ મળી કુલ 48 ટ્રીપ કરશે અને જેમાં 2,100 જેટલા કિલોમીટર બસો આવાગમન કરશે.
ગુજરાતમાં સી.એમ. રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન-૪ ની ગાઈડલાઈન ની જાહેરાત કરતી વખતે અમદાવાદમાં પ્રવેશ સિવાય એસ.ટી. બસોની સેવા શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જે મામલે આજે એસ.ટી. નિગમ દ્વારા રાજ્યમાં બસો દોડાવવાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો અને જેના પગલે દાહોદ ડેપો ફરીથી ધમધમતો થયો હતો અને થંભી ગયેલ જીવનના પૈડાં ફરીથી માર્ગો ઉપર દોડવા લાગ્યા હતા.