Tuesday, April 8, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં લગ્નો સહિતના પ્રસંગો ઉપર પણ પ્રતિબંધ, કરફ્યુનો કડક અમલ

દાહોદ જિલ્લામાં લગ્નો સહિતના પ્રસંગો ઉપર પણ પ્રતિબંધ, કરફ્યુનો કડક અમલ

દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ૧૪૩૭ ટીમ્સ દ્વારા ૫૫૬ ગામોના ૫૮૦૯૨ ઘરોમાં રહેતા ૩૯૭૦૯૬ લોકોનો આરોગ્યલક્ષી સર્વે સમગ્ર દાહોદ જિલ્લામાં અમલી બનેલા કરફ્યુને પગલે આજે કલેક્ટર વિજય ખરાડીએ સામાજિક પ્રસંગો ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે અને હવે મરણ પ્રસંગને બાદ કરતા કોઇ પણ પ્રકારના સામાજિક કાર્યક્રમો કરી શકાશે નહી. ખાસ કરીને દાહોદ જિલ્લામાં લગ્ન પ્રસંગો યોજાતા જણાય તો આયોજક પરિવાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા આદેશ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરફ્યુનો સંપૂર્ણ અમલ કરાવવા માટે ઠેરઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે. જિલ્લાને લાગતુ પડતી આંતરરાજ્ય સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે આજે તાલુકા મથકોના અધિકારીઓ સાથે વિડીઓ કોન્ફરન્સ કરી હતી અને તેમાં ઉક્ત મુજબની સૂચના આપી હતી. CRPCની કલમ ૧૪૪ હેઠળ સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ કરવામાં આવેલી સંચારબંધીનો સઘન અમલ કરાવવા માટે આ બન્ને અધિકારીઓએ સૂચના આપી હતી.
દાહોદ જિલ્લામાં હાલે લગ્નસરા ચાલતી હોવાથી તે પણ કોરોના વાયરસના ફેલાવાનું મહત્વનું કારણ બની શકે છે. આ ગંભીર બાબતને ધ્યાને લઇ લગ્નનો મેળાવડો યોજવા ઉપર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જો કોઇ પરિવાર લગ્ન પ્રસંગનો મેળાવડો યોજતા જણાય તો તેને કારણે વરવધૂ સહિતના આયોજકો સામે પોલીસ રાહે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે સરપંચોને પણ માહિતીગાર કરવા જણાવવામાં આવ્યું હતું. દરમિયાન, કલેક્ટરએ દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયા નગરપાલિકાના મુખ્ય અધિકારીઓને જાહેર સ્થળોના ડિસઇન્ફેક્શનની પ્રક્રીયા, સફાઇની કામગીરી સઘન બનાવવા માટે સૂચના આપી હતી. પ્રાંત અધિકારીઓને એવી સૂચના આપવામાં આવી છે કે, તાલુકા મથકે એક સ્થળે ક્વોરન્ટાઇન માટેના લોકેશન નિયત કરી લેવામાં આવે. જેથી પાછળની કોઇ તકલીફ ના પડે. ગ્રામ મથકના સરકારી કર્મચારીઓને હેડ ક્વાટર ના છોડવા કહેવામાં આવ્યું છે.
દરમિયાન, આ વિડીઓ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પહાડિયાએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ૧૪૩૭ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં ૫૫૬ ગામોમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ૫૮૦૯૨ ઘરોમાં રહેતા ૩૯૭૦૯૬ લોકોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા છે. બીજી વિશેષ બાબત એ છે કે, આ સર્વે દરમિયાન ૭૧ વ્યક્તિએ વિદેશ પ્રવાસ કર્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં તેનો ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન સમયગાળો પૂર્ણ થઇ ગયો હતો. તેમાં કશું શંકાસ્પદ જણાયું નહોતું. આજની સ્થિતિએ ૫૭ વ્યક્તિને હોમ ક્વોરનટાઇનમાં રાખવામાં આવ્યા છે. જ્યાં તેમના ઘરમાં માર્કેશન કરવામાં આવ્યું છે. સર્વે દરમિયાન મળી આવ્યા હોય તેવા અને એરપોર્ટ દ્વારા માહિતી આપવામાં આવી હોય તેવા મળી કુલ ૧૨૬ વ્યક્તિ વિદેશ પ્રવાસી છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી ૧૨૬ લોકોએ વિદેશ યાત્રા કરી છે. જેમાં આરબ અમીરાતની ૩૯, ચીનની ૩, ઇન્ડોનેશિયાની ૨, તૂર્કીસ્તાનની ૨, ઇરાકની ૫, ફિલિપાઇન્સની ૩, મલેશિયાની ૧૯, અબુધાબીની ૨, ઓમાનની ૩, અમેરિકાની ૧૧, રશિયા, મોરેશિયસ, કેનેડાની એક-એક, કુવૈતની ૩, થાઇલેન્ડની ૩, યુરોપની ૧, જર્મનીની ૨, દૂબઇની ૧૭, ઇજીપ્ત-જોર્ડનની ૨ સહિત અન્ય રાજ્યોની મુલાકાત લેનારા પ્રવાસીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. આ પ્રવાસીઓ પૈકી ૧૬ થી ૨૫ વય જૂથના ૧૬, ૨૬ થી ૩૫ વય જૂથના ૨૨, ૩૬ થી ૫૦ વય જૂથના ૧૭ પ્રવાસીઓ છે. તેમાંથી ૨૦ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. તમામની તકેદારી આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવી હતી. તમામ પ્રવાસીઓનું સ્વાસ્થ્ય સારૂ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments