THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે પ્રતિ માસના ત્રીજા શનિવારે અહીંના જિલ્લા સેવા સેદન ખાતે યોજાતી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક આજે મળી હતી. જેમાં દાહોદ નગર અને જિલ્લાના વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉક્ત બેઠકમાં GST વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે, દાહોદ નગરના વેપારીઓ સાથે એક બેઠક યોજી, વેપારીવર્ગને GST અંગે જાગૃતિ લગતી બાબતોની માહિતગાર કરવા. આવો એક સેમિનાર ટૂંક સમયમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
દાહોદ નગરના રેલવે ઓવર બ્રિજ પાસેથી શરૂ થઇ ઝાલોદ-લીમડી ક્રોસિંગ રોડ સુધીના ટૂંકા માર્ગને રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ પાસેથી લઇ રાજ્ય સરકારને હવાલે મૂકવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને સૂચના આપી હતી. મધ્ય ગુજરાત વીજ કંપનીની યોજનાઓ અંગે દાહોદ જિલ્લાના જે ગામોમાંથી વધુ અરજીઓ મળે તે ગામમાં ખાસ કેમ્પ રાખીને અરજીઓના નિકાલ કરવા કાર્યપાલક ઇજનેરશ્રીને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, દાહોદ જિલ્લાના વિવિધ સેજાઓમાં યોજાતા સેવા સેતુ કાર્યક્રમમાં ભાગ લેતા નાગરિકોને સેવા-યોજનાઓનો મહત્તમ લાભ આપવા પણ કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું હતું. સરકારી કચેરીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોઇસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.