PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરના રાજમાર્ગો પર છેલ્લા ઘણાં સમય થી રખડતાં-ભટકતાં અસ્થિર મગજના માનવીને જોઇને આજના કાળા માથાંના માનવીને ક્યારેય દયા ન આવે, પરંતું આજે વિરમગામ શહેરમાં સેવાભાવી યુવાનોએ નિરાધાર ભટકતાં પાગલોની સેવા કરવાનું બીડું ઝડપ્યું છે. પાગલોની હાલત અતિશય દયાજનક હોય છે. તેમના કપડાં ફાટેલા-તૂટેલાં, લઘરવઘર હોય છે. પગમાં ચપ્પલ નથી હોતા. વાળ વધી ગયા હોય છે. દિવસોના દિવસો સુધી સ્નાન ન કર્યું હોય એટલે એમના શરીર ઉપર ગંદકીના થર જામ્યા હોય છે. લોકો આવા પાગલોને જોવે એટલે એનાથી દૂર ભાગવા લાગે છે. શેરીમાં પડેલા રોટલીના ટુકડા આ પાગલો ખાઇ લે છે. આવા પાગલો નિરાધાર હોય છે, એમની સંભાળ લેનારું કોઇ નથી હોતું. આપણા સભ્ય સમાજની વચ્ચે જ આ કમનસીબ પાગલો તિરસ્કૃત થઇને નરક જેવી જિંદગી ભોગવતા હોય છે. પરંતું આજરોજ વિરમગામ શહેરના સેવાભાવી લોકો એ માનવતા ની મહેક ફેલાવી દીઘી છે..
જી હાં… વિરમગામ શહેરમાં સેવાભાવી રાજુભાઈ ઉર્ફે ગલાભાઇ રબારી બપોરે ભોજન બાદ પોતાના ઘરે આરામ કરી રહ્યા હતા તેવામાં જ સમગ્ર વિસ્તારમાં લાઇટો ગુલ થઇ અને રાજુભાઈ રબારીને અચાનક વિચાર આવ્યો કે આપણે આટલી ગરમીમાં ઘરે પંખા-એસી વગર રહી નથી શકતા તો શહેરમાં ભટકતા અસ્થિર મગજના માનવી ખાઘા-પીઘા વગર રહેતાં હોય તેઓની હાલત કેવી હશે? રાજુભાઈએ તેમના બઘા મિત્રો મોનીક પ્રજાપતિ, નારણભાઈ રબારી, આશીષ રબારી, દર્શન રબારી સહિતના સેવાભાવી લોકો ભેગા થઇને આજરોજ શહેરમાં જલારામ મંદિર, રેલ્વે સ્ટેશન રોડ, બસ સ્ટેશન રોડ પર 3 થી વઘુ અસ્થિર મગજના માનવીને સ્થળ પરજ તેમને સ્નાન કરાવી, વાળ કપાવડાવી, દાઢી કરાવી નવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું. અને નિરાઘાર પાગલ અસ્થિર મગજના માનવી ની સેવા કરી સેવાભાવી યુવાનો ઘન્ય બન્યાં.
સેવા માટે સાધનોની નહી બલ્કે પ્રબળ ભાવનાની જરૂર પડે છે. આ ઉક્તિને સાચા અર્થમાં વિરમગામના સેવાભાવી લોકોએ સાર્થક કરી બતાવી છે. માણસ ધારે તો તે પોતાના કાર્યોથી બીજા અનેક લોકોનું જીવન બદલી શકે છે. વિરમગામ શહેરના સેવાભાવી યુવાનોએ આવુ જ એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે, ત્યારે ચોક્કસ પણે તેમની જીવનશૈલીને સલામ કરવાનું મન થાય.
વિરમગામ ની નિસ્વાર્થ ભાવની સેવાને લોકોના લાખો સલામ…..